અમેરિકા જતા પહેલા નવી પોલીસી અંગે માર્ગદર્શન મેળવવું ખુબ જ હિતાવહ છે..અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં તાજેતરમાં એક મોટો ફેરફાર ચર્ચાનો વિષય બન્યો છે. USCIS ના એક નિર્દેશ બાદ એવી ચિંતા ઊભી થઈ હતી કે તમામ ગ્રીન કાર્ડ અરજદારો એ હવે પરમેનન્ટ રેસિડેન્સી મેળવવા માટે ફરજિયાતપણે પોતાનો દેશ છોડીને અમેરિકાની બહાર કોન્સ્યુલર પ્રોસેસિંગ માટે જવું પડશે. જોકે, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ હવે આ બાબતે સ્પષ્ટતા કરી છે.
નવી પોલિસીમાં શું છે ?
અગાઉની વ્યવસ્થા મુજબ, અમેરિકામાં રહીને જ ‘એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ’ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાનો વિકલ્પ ઉપલબ્ધ હતો. નવી સૂચનાઓ અનુસાર, હવે ઘણા ઇમિગ્રન્ટ્સને ગ્રીન કાર્ડ પ્રોસેસિંગ પૂર્ણ કરવા માટે તેમના માતૃભૂમિ પરત ફરવું પડી શકે છે.USCISના પ્રવક્તા ઝેક કાહલરના જણાવ્યા અનુસાર, આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ઇમિગ્રેશન કાયદાના મૂળ હેતુને પુનઃસ્થાપિત કરવાનો છે. તેનો હેતુ એ છે કે જે લોકો કામ કે અભ્યાસ માટે કામચલાઉ વિઝા (જેમ કે H-1B, F-1, H-4) પર અમેરિકા આવે છે, તેઓએ ગ્રીન કાર્ડ માટે દેશ છોડીને પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ, જેથી કામચલાઉ વિઝાનો દુરુપયોગ અટકે.

કોને કોને મળશે છૂટછાટ?
DHS એ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સંપૂર્ણ ‘પોલિસી શિફ્ટ’ નથી, પરંતુ અધિકારીઓને કાયદાના મૂળ ઉદ્દેશ્યની યાદ અપાવવાનો પ્રયાસ છે. તમામ અરજદારોને દેશ છોડવો પડે તેવું જરૂરી નથી. અધિકારીઓને દરેક કેસ વ્યક્તિગત રીતે તપાસવાની સત્તા આપવામાં આવી છે.
