આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને આજે માનનીય સુપ્રીમ કોર્ટ તરફથી CBIવાળા કેસમાં જામીન મળ્યા છે. આજે અરવિંદ કેજરીવાલજીને જામીન મળ્યા તેની ખુશીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને કચ્છ ઝોન કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવીને ઉજવણી કરી હતી. અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ અરવિંદ કેજરીવાલજીના જામીનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડા ફોડીને અને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને તોડવા માટે ભાજપ દ્વારા ખૂબ જ ષડયંત્ર રચવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલજી સહિત આમ આદમી પાર્ટીના અનેક મોટાં નેતાઓ વિરુદ્ધ શરાબકાંડના નામે ખોટા કેસ કરવામાં આવ્યા હતા પરંતુ આજે માનનીય સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલજીને જામીન આપીને ઇડી અને સીબીઆઇના ફર્જી કેસને બેનકાબ કર્યા છે. અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો ભાજપે જે કારસો રચ્યો હતો, તેનો આજે ભાંડો ફૂટી ગયો છે. પહેલા પીએમએલએ અંતર્ગત ખોટા કેસ બનાવીને આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને જેલમાં નાખ્યા અને મહિનાઓ સુધી જેલમાં રાખ્યા. ત્યારબાદ આમ આદમી પાર્ટીને તોડવાની કોશિશ કરવામાં આવી. ભાજપે અને તેના નેતાઓએ આમ આદમી પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી. પરંતુ હંમેશા સત્યની જીત થાય છે એમ આજે પણ સત્યની જીત થઈ અને અરવિંદ કેજરીવાલજી આજે જેલની બહાર આવશે.

